Wednesday, July 8, 2015

સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન;


                  સ્વામિનારાયણ ભગવાને સંતો-ભક્તોને સ્વમુખે કહેલા વચનામૃતોમાં અનેક વખત સાચા સંતના લક્ષણો અને આવશ્યકતા ઉપરાંત સંતના અપાર મહિમાની વાતો કરેલ છે. માટેજ તેમની આજ્ઞા અનુસાર રચાયેલ "ભકત ચિંતામણી" ગ્રંથનું મંગલાચરણ સદગુરૂ શ્રી નિષ્કુળાનંદ સ્વામીએ નીચે મુજબ કર્યું છે.



સર્વે સંત સુજાણને, હું પ્રથમ લાગી પાય;
આદરું આ ગ્રંથને, જેમાં વિઘન કોઈ ન થાય. ૧
સંત કૃપાએ સુખ ઊપજે, સંત કૃપાથી સરે કામ;
સંત કૃપાથી પામીએ, પૂરણ પુરુષોત્તમ ધામ. ૨
સંત કૃપાએ સદ્‍મતિ જાગે, સંત કૃપાથી સદ્‍ગુણ;
સંત કૃપા વિના સાધુતા, કહોને પામ્યા કુણ. ૩
સંત સેવ્યા તેણે સર્વ સેવ્યા, સેવ્યા શ્રીહરિ ભગવાન;
ઋષિ મુનિ સેવ્યા દેવતા, જેણે સંત કર્યા રાજી મન. ૪
જપ તપ તીર્થ વ્રત વળી, તેણે કર્યા યોગ યગન;
સર્વે કારજ સારિયું, જેણે સંત કર્યા પ્રસન્ન. ૫
એવા સંત શિરોમણિ, ઘણી ઘણી શું કહું વાત;
તેવું નથી ત્રિલોકમાં, સંત સમ તુલ્ય સાક્ષાત્. ૬
કામદુઘા કલ્પતરુ, પારસ ચિંતામણિ ચાર;
સંત સમાન એ એકે નહિ, મેં મનમાં કર્યો વિચાર. ૭
અલ્પ સુખ એમાં રહ્યું, મળી ટળી જાય છે એહ;
સંત સેવ્યે સુખ ઊપજે, રહે અખંડ અટળ એહ. ૮


ચોપાઇ

એવા સંત સદા શુભમતિ, જક્ત દોષ નહિ જેમાં રતિ;
સૌને આપે હિત ઉપદેશ, એવા સંતને નામું હું શીષ. ૯
 સદ્‍ગુણના સિંધુ ગંભીર, સ્થિરમતિ અતિશય ધીર;
માન અભિમાન નહિ લેશ, એવા સંતને નામું હું શીષ. ૧૦
 અહંકાર નહિ અભેદ ચિત્ત, કામ ક્રોધ લોભ મોહ જિત;
ઇન્દ્રિય જીતી ભજે જગદીશ, એવા સંતને નામું હું શીષ. ૧૧
 નિર્ભય બ્રહ્મવિત પુનિત, ક્ષમાવાન ને સરલ ચિત્ત;
સમર્થ સત્યવાદી સરેશ, એવા સંતને નામું હું શીષ. ૧૨
 તેજે તપે યશે સંત પૂરા, જ્ઞાનવાન શુદ્ધબોધે શૂરા;
શુભ શીલ સુખના દાનેશ, એવા સંતને નામું હું શીષ. ૧૩
 કરે પવિત્ર અન્ન જોઈ આહાર, સારી ગિરા સમભાવ અપાર;
નહિ અનર્થ ઈર્ષ્યા કલેશ, એવા સંતને નામું હું શીષ. ૧૪
 ભક્તિ વિનય દ્રઢ વિચાર, આપે બીજાને માન અપાર;
અતિ પવિત્ર રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ. ૧૫
 શમ દમાદિ સાધને સંપન, બોલે મળીને મન રંજન;
શ્રુતવાનમાં સૌથી સરેશ, એવા સંતને નામું હું શીષ. ૧૬
 આનંદિત આત્મા છે આપ, નિર્લેપ નિર્દોષ નિષ્પાપ;
અશઠ અસંગી ક્ષમાધીશ, એવા સંતને નામું હું શીષ. ૧૭
 સંશયહર્તા ને કલ્યાણકર્તા, વળી વેદ પુરાણના વેત્તા;
કોમળ વાણી વાચાળ વિશેષ, એવા સંતને નામું હું શીષ. ૧૮
 સારી સુંદર કથા કહે છે, અલુબ્ધાદિ આત્મા રહે છે;
વળી પરદુઃખ હરે હંમેશ, એવા સંતને નામું હું શીષ. ૧૯
 કામ દ્રવ્ય ને માન છે જેહ, તેહ સારુ નથી ધાર્યો દેહ;
જ્ઞાન વૈરાગ્ય ઉરે અશેષ, એવા સંતને નામું હું શીષ. ૨૦
 સદા સ્મરણ ભજન કરે, વળી ધ્યાન મહારાજનું ધરે;
એવે ગુણે મોટા જે મુનીશ, એવા સંતને નામું હું શીષ. ૨૧
 સાવધાન લજ્જાવાન ખરા, લોક આચરણ ન જુવે જરા;
મોટી બુદ્ધિ શુદ્ધિ છે વિશેષ, એવા સંતને નામું હું શીષ. ૨૨
 કરે કારજ કળીમળ ધોય, લાભ અલાભે સ્થિરમતિ હોય;
ડાયા જાણે કાળ વળી દેશ, એવા સંતને નામું હું શીષ. ૨૩
 સુણી પારકા દોષને દાટે, તે જીવના રૂડા થવા માટે;
ઉરે અધર્મનો નહિ પ્રવેશ, એવા સંતને નામું હું શીષ. ૨૪
 અચપળતા અચિરકાલી, ધ્રાય નૈ ધ્યાને મૂરતિ ભાળી;
સદાગ્રહમાં રહે અહોનિશ, એવા સંતને નામું હું શીષ. ૨૫
 કૃપાળુ ને પરઉપકારી, જ્ઞાન દાનથી ન જાય હારી;
કેની નિંદા દ્રોહ નહિ લેશ, એવા સંતને નામું હું શીષ. ૨૬
 સગા સૌના શીતળતા અપાર, નિર્વિકારી ને લઘુ આહાર;
શરણાગતના દાતા હંમેશ, એવા સંતને નામું હું શીષ. ૨૭
 દગો નહિ સંગ્રહરહિતા, વિવેકી વિચાર ધર્મવંતા;
સદા પવિત્ર ને શુભવેષ, એવા સંતને નામું હું શીષ. ૨૮
 રાખ્યું બ્રહ્મચર્ય અષ્ટ અંગ, અતિ તજ્યો ત્રિયાનો પ્રસંગ;
પંચ વિષય શું રાખ્યો છે દ્વેષ, એવા સંતને નામું હું શીષ. ૨૯
 એવા સદ્‍ગુણના છે ભંડાર, સર્વે જનના સુખદાતાર;
અજ્ઞાન તમના છે દિનેશ, એવા સંતને નામું હું શીષ. ૩૦
 એવા સદ્‍ગુણે સંપન્ન સંત, કરો કૃપા મું પર્ય અત્યંત;
ગાઉં મહારાજના ગુણ વળી, કરજ્યો સહાય તમે સહુ મળી. ૩૧
 વળી વંદુ હરિજન સહુને, આપજ્યો એવી આશિષ મુને;
હેત વાધે હરિ યશ કહેતાં, એવી સૌ રહેજ્યો આશિષ દેતાં. ૩૨
 અલ્પ બુદ્ધિએ આદર્યો ગ્રંથ, નથી પૂરો કરવા સમર્થ;
માટે સ્તુતિ કરું છું તમારી, કરજ્યો સહુ મળી સહાય મારી. ૩૩
 કરી વિનંતિ વારમવાર, હવે કરું કથાનો ઉચ્ચાર;
હરિયશ કહેવા હરખ્યું છે હૈયું, કહ્યા વિના જાતું નથી રૈયું. ૩૪ 

ઇતિ શ્રીમદેકાંતિક ધર્મપ્રવર્તક શ્રીસહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદમુનિ વિરચિતે ભક્તચિંતામણિ મધ્યે કવિએ સ્તુતિ કરી એ નામે બીજું.

                નીચેની લીંક ક્લિક કરી, ભક્તચિંતામણી ના અનુપમ પદને દ્રશ્ય-શ્રવણ દ્વારા માણો   





        



        

No comments:

Post a Comment