Saturday, March 4, 2017

ઘટના અને અર્થ ઘટન - ૧ / (શ્રી નિવાસ - અમેરિકા )


    ​           ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ શુક્રવાર સાંજે ૭.૧૫ સમયે અમેરિકાના કેનસાસ માં એક બારની અંદર ભારતીય વંશનો ૩૨ વર્ષની ઉંમરનો એક તેજસ્વી ઈલેક્ટ્રોનિક એન્જીનીયર યુવાન શ્રી નિવાસ કુચભોટલા તેના મિત્ર આલોક મદ્લાની જોડે ટી વી સ્ક્રીન પર સોકર મેચ ની મઝા માણી રહ્યો હતો. તે દરમ્યાન ત્યાં એક ૫૧ વર્ષનો અજાણ્યો અમેરિકન નાગરિક આવી - "અહિયાં અમેરિકામાં તમે ભારતીય લોકો શા માટે આવો છો ?" કહીને જેમ તેમ બોલવા લાગ્યો. શ્રી નિવાસ અને આલોકે તેને કશો ઉત્તર નહિ આપ્યો અને શાંત રહ્યા. પણ થોડાજ સમયમાં પુરીન્તન નામનો અમેરિકાની નેવીમાં ફરજ બજાવી ચુકેલો આ માણસ બહાર જઈને તેની બંદુક લઇને ફરીથી બારમાં દાખલ થયો. અચાનક આવીને તેની બંદુકમાંથી ધડા ધડ ગોળીઓ બારમાં બેઠેલ બંને ભારતીય ઉપર ચલાવી. તેની બંદુક ની ગોળી થી ઘાયલ થયેલ બંને ભારતીયોને તુરંત નજદીકની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા. હોસ્પીટલમાં શ્રીનિવાસનું મ્રત્યુ થયું જયારે આલોક મદલાણી સારવાર દ્વારા બચી ગયો.

          અમેરિકામાં વંશીય ભેદભાવને કારણે બનેલ આ ઘૃણાસ્પદ ઘટનાના સમાચાર દુનિયાભરના બધાજ અખબારો અને ટી .વી. ચેનલો પર રજુ થયા. સૌ એ ઘેરા પ્રત્યાઘાતો પોત પોતાની રીતે આપ્યા. કોઈકે આ ઘટના માટે અમેરિકાના નવા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભડકાઉ ભાષણોને ઠરાવ્યા. શ્રી નિવાસની પત્નીએ જણાવ્યું કે - "મેં તેમને (શ્રી નિવાસને) પહેલા જ ચેતવ્યા હતા કે હવે ટ્રમ્પના આગમન પછી અહિયાં અમેરિકામાં રહેવા જેવું નથી. ત્યારે તેમણે (શ્રી નિવાસે) મને થોડી ધીરજ રાખવા કહેલ


                                                 સિક્કા ની બીજી બાજુ 

(૧) મૃતક શ્રી નિવાસ અને અપરાધી પુરીન્તન એક બીજાથી બિલકુલ અજાણ હતા અને પહેલા ક્યારે પણ એકબીજાને મળ્યા હતા નહિ, તો શા માટે બીજું કોઈ નહિ અને શ્રીનિવાસ જ તેની ગોળીનો ભોગ બન્યો ?

(૨) શા કારણે ગુરુવાર ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૭ ની તે ગોજારી સાંજે શ્રી નિવાસ બીજે કશે નહિ અને તે બારમાં જવાનો નિર્ણય લીધો ?

(3) આલોક ને વાગેલ બંદુકની ગોળી ઘાતક નીવડી નહિ અને હોસ્પિટલની સારવારથી તે બચી શક્યો તો પછી શા માટે શ્રી નિવાસને વાગેલ બંદુકની ગોળી ઘાતક બની અને હોસ્પિટલની સારવાર કારગત ના નીવડી ?

          મારા મનમાં ઉદભવેલા ઉપરના સવાલોના જવાબ આજની ઈન્ટરનેટ અને માહિતી સભર ડીજીટલ દુનિયાના ગુગલ જેવા બીજા અનેક સર્ચ એન્જીસ દ્વારા મળી શકે તેમ નથી. તેથી વ્હોટસ-એપ ઉપર મેં મોકલાવેલ ઉપરની પ્રશ્નોત્તરી નો જવાબ કે રિસ્પોન્સ મને મારા કોઈ પણ 60 + ગ્રુપના મિત્ર તરફ થી મળ્યો નહિ. ત્યારબાદ આજ પ્રશ્નોત્તરી ને મેં મારા જે મિત્રો વ્હોટસ -એપ નો ઉપયોગ કરતા નથી તેમને ઈ-મેઈલ દ્વારા મોકલાવેલ.

          વડોદરા સ્થિત મારા વડીલ તુલ્ય મિત્ર દિગમ્બર જોશી તરફથી મારી ઉપરની પ્રશ્નોત્તરી નો નીચે મુજબ નો જવાબ મને મળ્યો :-


    "શ્રીનિવાસ પૂર્વજન્મમાં એક બ્રિટીશ સોલ્જર હતો ત્યારે તેણે
      પુરીન્તન જે પૂર્વ જન્મમાં અમેરિકાનો રેડ ઇન્ડિયન હતો તેની 
      બંદુકની ગોળી મારી હત્યા કરેલ. ઉપરની ઘટના બાદ એક 
      બીજાના કર્મ બંધન નો અંત આવ્યો"

       વર્ષો પૂર્વે વતન મહારાષ્ટ્ર/પુનામાં એન્જીનયરીંગ નો અભ્યાસ પૂર્ણ કરી જોશી સાહેબ રેલ્વેમાં જોડાયા બાદ ભાવનગરમાં પોસ્ટીંગ મળવાથી ગુજરાત આવેલ. ત્યાર બાદ વેસ્ટર્ન રેલ્વેમાં ઉચ્ચ પદે રહી નિવૃત્ત થયા પછી વડોદરામાં સેટલ થયા. હાલમાં  ૮૦ આસપાસની જૈફ ઉંમરે  જોશી સાહેબ તેમના પત્ની જોડે અતિશય સાદગી, સાત્વિક, સ્વનિર્ભર અને એકાંતમય જીવન વડોદરામાં વિતાવી રહ્યા છે જયારે તેમના બંને દીકરાઓ અમેરિકાની  મોટી કંપનીમાં ઉચ્ચ હોદ્દા ઉપર સ્થાઈ થઇ પરદેશમાં વસ્યા છે. મિતભાષી જોશી સાહેબ નિવૃત્તિનો ઘણો ખરો સમય મૌન અને ધ્યાનમાં પસાર કરે છે.

          શ્રી હરિલીલા કલ્પતરુ પુસ્તકમાં નોંધાયેલ નીચેની સત્ય ઘટના ના સંદર્ભ મા મને શ્રી જોશી સાહેબનો ઉપરનો જવાબ યથાર્થ અને યોગ્ય લાગ્યો છે. પ્રસ્તુત છે સર્વોપરી શ્રી સ્વામિનારાયણ ભગવાનના અનેક લીલા ચરિત્રો માનો એક પ્રસંગ :- 

          એક સમયે મુળજી બ્રહ્મચારી અને શ્રીજી મહારાજ એક ગામ થી બીજા ગામ પગપાળા જઈ રહ્યા હતા. રસ્તામાં એક ગાડાવાળો મળ્યો તે પણ તેજ ગામ જઈ રહ્યો હતો. એટલે ગાડાવાળા એ શ્રીજી મહારાજ અને મુળજી બ્રહમચારીને તેના ગાડામાં બેસાડ્યા અને પ્રવાસ આગળ ચાલ્યો. મધ્યાન સમયે રસ્તામાં એક નદી કિનારે વિશ્રામ કરવા સૌ રોકાયા. ગાડાવાળા એ બળદની જોડ ને નદીમાં પાણી પીવરાવી છુટ્ટા મુક્યા. તેના ભાતાના ડાબરા માંથી સૌ એ ભોજન કર્યું. પછી ગાડાવાળો થોડો  વિશ્રામ કરવા ઝાડ નીચે લંબાવીને સુતો.

         તે દરમ્યાન ત્યાંથી પસાર થતી લગ્નની એક જાન પણ સરસ નદી કિનારો જોઈ વિશ્રામ કરવા રોકાઈ. રોકાણ દરમ્યાન લગ્નસરાના ઘરેણા-દાગીનાનો દાબડો ખોવાયેલો જણાયો. જાનૈયાઓ ને દાગીના ની ચોરી થયાની શંકા થઇ. એટલે શ્રીજી મહારાજ પાસે આવીને પૂછા કરી ત્યારે મહારાજે ઈશારાથી સુતેલા ગાડાવાળા તરફ આંગળી ચીંધી. એટલે શંકાશીલ જાનૈયાઓ એ સુતેલા ગાડાવાળા ને ધોલ ધપાટ કરી દાગીનાનો દાબડો પરત કરવા કહ્યું. સૂતેલો ગાડાવાળો તો હેબતાઈ જ ગયો ! જાનના મુખિયા એ બુમ પાડી કે - " અલ્યા આ રહ્યો ઘરેણા નો દાબડો તો અહીજ છે તમે નાહક ની શોધા શોધ કરો છો". એ સાંભળી જાનૈયાઓ ત્યાથી પરત નાઠા. ગાડાવાળા ને સમજ જ ના પડી કે તે સપનું જોઈ રહ્યો હતો કે સાચે જ કોઈ તેને ધમકાવી ને ધોલ ધપાટ કરતુ હતું.

        બીજે ગામ પહોંચ્યા પછી મુળજી બ્રહમચારીએ શ્રીજી મહારાજને પૂછ્યું કે "મહારાજ આ શું લીલા કરી તે સમજાવો. પેલા ભોળા ગાડાવાળા એ આપણને તેના ગાડામાં બેસાડ્યા - તેના ભાતાના ડાબરામાંથી ભોજન કરાવ્યું અને છતાં તમે જાનૈયાઓ ને ગાડાવાળા તરફ આંગળી ચીંધી માર ખવરાવ્યો ?"

        ત્યારે મહારાજે કહ્યું કે "ગાડાવાળા અને જાનૈયાના પૂર્વ જન્મના કર્મ બંધનને કારણે ગાડાવાળા ને હજુ બીજા સાત જન્મ ધારણ કરવા પડે તેમ હતું. અમે તેના ઉપર રાજી થઈને તેને આ જન્મે જ અક્ષરધામનું સુખ આપવા ઇચ્છીએ છીએ. એટલે જાનૈયા દ્વારા હમણા માર ખવરાવી અમે તેને તેના પૂર્વ જન્મના કર્મ બંધન થી મુક્તિ અપાવી".


                 " માનવ જાણે હું  કરું, હું કરું, પણ કરતલ દુજો કોઈ,
             આદર્યા અધૂરા રહે, બસ હરિ કરે સો હોય "

                                      

 












 
     
 

No comments:

Post a Comment