Wednesday, April 29, 2015

એક બીજાના પુરક અને શ્રીજી મહરાજના પ્રિય એવા બે સુંદર પદો.




મારા હરજી શું હેત ન દીસે રે 
તેને ઘેર શીદ જઈએ,
તેને સંગે શીદ રહીએ રે   ...... °ટેક

હેત વિના હુંકારો ન દેવો, 
જેનું હરખેશું હૈડું ન હીસે રે;
આગળ જઈને વાત વિસ્તારે, 
જેની આંખ્યુમાં પ્રેમ ન દીસે રે...... તેને° ૧

ભક્તિભાવનો ભેદ ન જાણે ને, 
ભુરાયો થઈને ભાળે રે;
લલિત લીલાને રંગે ન રાચે, 
પછી ઉલેચી અંધારું ટાળે રે......... તેને° ૨

નામ તણો વિશ્વાસ ન આવે, 
ને ઊંડુ તે ઊંડુ શોધે રે;
જાહ્‍નવી તીરે [કેરા] તરંગ તજીને, 
પછી તટમાં જઈને કૂપ ખોદે રે.... તેને° ૩

પોતાના સરખી કરીને જાણે, 
પુરુષોત્તમની કાયા રે;
નરસૈયાના સ્વામીની લીલા, 
ઓલ્યા મતિયા કહે છે માયા રે.... તેને° ૪





મારા વા'લાજી શું વા'લપ દીસે રે, 
તેનો સંગ શીદ તજીએ,
તે વિના કેને ભજીએ રે                ... °ટેક

સન્મુખ થાતાં શંકા ન કીજે, 
મર ભાલા તણા મેહ વરસે રે;
હંસ થઈ હરિજનને મળશે, 
પછી કાચી તે કાયા પડશે રે         ... તેનો° ૧

શૂળી ઉપર શયન કરાવે તોય, 
સાધુને સંગે રહીએ રે;
દુરિજન લોક દુર્ભાષણ બોલે, 
તેનું સુખદુઃખ સર્વે સહીએ રે         ... તેનો° ૨

અમૃતપેં અતિ મીઠાં મુખથી, 
હરિનાં ચરિત્ર સુણાવે રે;
બ્રહ્મા ભવ સનકાદિક જેવા, 
જેનાં દર્શન કરવાને આવે રે          .. તેનો° ૩

નરકકુંડથી નરસું લાગે, 
દુરિજનનું મુખ મનમાં રે,
મુક્તાનંદ મગન થઈ માગે વહાલા, 
વાસ દેજો હરિજનનમાં રે             ... તેનો° ૪









No comments:

Post a Comment